Wednesday, May 27, 2009

કદીક વમળની વાતો અને કદીક કમળની વાતો
સદીઓથી સાંભળે છે પર્વત વહેતા જળની વાતો

લઈ વેરાન જીંદગી બેઠા હતાં સરવરની આશમાં
મિત્રો ત્યાં લઈને આવ્યા નર્યા મૃગજળની વાતો

જે કદી વરસતું પણ નથી ને ગરજતું પણ નથી
આકાશને પણ પીડે છે એવાં એક વાદળની વાતો

સદીઓ સુધી જીવી શકાય છે બસ એના આધારે
નથી ભુલાતી એવી એકાદ અનોખી પળની વાતો

ક્યારેક વિધિના લેખથી પણ એ ઉપર હોય છે
હસ્તરેખાઓમાં નથી હોતી એવાં અંજળની વાતો



Friday, February 06, 2009




આવ તું અને ઉજાસ લાવ તું
શબ્દો નિયતિના બદલાવ તું

શ્વાસનું પંખી પાંખ ફફડાવતું
હવે તો મળવા માટે આવ તું

ગઝલનો આખરી શબ્દ છું હું
બક્ષવા અમરત્વ, બિરદાવ તું

સદીઓ સુધી ભુલી ન શકાય
ક્ષણ એવી એકાદ વિતાવ તું

પ્રેમમાં કોઇ જીત્યું નથી કદી
જીંદગી દાવમાં ન લગાવ તું


એક વાત તો સર્વ સ્વીકૃત છે કે કોઇ પણ સર્જક કે કલકાર પોતાની કૃતિના સર્જનની પ્રકિયા દરમિયાન ઇશ્વરની સૌથી વધુ નજીક હોય છે. કશુંક અવ્યક્ત હોય તેને વ્યક્ત સ્વરૂપ આપવું એ જ તો ઇશ્વરી કૃત્ય કહેવાય ને?

શબ્દ એ સર્જનનું માધ્યમ છે અને શબ્દ જ્યારે તેના કર્તાની નાભિમાંથી બહાર આવે છે ત્યારે બ્રહ્માંડના નાદ સાથે તેનુ ઐક્ય સધાય છે.

કવિ હંમેશા ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે આંદોલિત થતો રહ્યો છે. એક એવી ઝંખના જે કદિયે તૃપ્ત થવાની નથી તે વેદના કવિના શ્વાસો સાથે વણાઈ જાય છે. કવિને એક એવા નિર્ભેળ સંબંધની ઝંખના હોય છે કે જેમા લયબધ્ધ સ્પંદનોની સજાવટ હોય, સમાન વૈચારિક કક્ષાએ વિહરતુ મૈત્રી જગત હોય અને પારસ્પારિક સમજણની સુમેળભરી સુરાવલીઓ વહેતી હોય.

'કોઇ મને સમજે' તેવી અપેક્ષામાંથી પ્રગટતી વ્યથા અને વ્યાકુળતા પણ ક્યારેક કવિ પાસે કવિતા લખાવે છે.તો અપાર ભીડમાંથી ચોરી લીધેલું ચપટીક એકાંત પણ કવિને એટલું જ વહાલું હોય છે. કોઇ કવિતા કાગળ પર શબ્દદેહ ધારણ કરે તે પુર્વેની કવિની મથામણ મેં જોઇ છે અને અનુભવી પણ છે. જીવનની પ્રત્યેક ઘટનાઓને સંવેદનશીલતાના ત્રાજવે તોળવાની કવિને આદત હોય છે. ધારદાર સંવેદનોને કારણે પ્રગટતી પીડા પણ કવિને પોતિકી લાગતી હોય છે.

કવિ પોતાના મનોપ્રદેશે શબરી સ્વરૂપે કોઇની પ્રતિક્ષા કરતો રહે છે.પણ એની ટોપલીમાં બોરની બદલે તેણે સાચવી હોય છે થોડી વેદના, થોડી સંવેદના અને થોડાક સ્પંદનો. અને બસ એમજ પ્રતિક્ષાપૂર્વક તે તાલ મિલાવતો રહે છે વિશ્વના કોઇ અનામ સાજિંદા સાથે......

ધુમ્મસ ધુમ્મસ, ઝાકળ ઝાકળ
દરિયો દરિયો, વાદળ વાદળ

સમયની રેત થઈ સરકતા સૌ
ના કોઇ આગળ ના કોઇ પાછળ

ક્યાંક એ મુક્તિ, ક્યાંક બંધન
સંબંધ કેવી અદભુત સાંકળ

ટહુકા માટે સહુ કોઇ તરસે
નીમ, વડલો કે આવળ બાવળ

ચોરી સુગંધ વાયરો ભાગ્યો
દોડે વગડો આખો એની પાછળ

Tuesday, December 02, 2008

આ ખીલવું, મહોરવું, ખરી પડવું શું ચીજ છે?
ને પછી વાયરાની સંગાથે ખખડવું શું ચીજ છે?

આ નિર્લેપ આકાશને કોઇ તો સમજાવો આ વાત
મળવાનો અર્થ શું અને બીછડવું શું ચીજ છે?

ને તે છતાંય કામ એનું કાબિલે તારિફ નીકળ્યું
બાકી ટેરવાંને શી ખબર કે રડવું શું ચીજ છે?

જ્યાં સુધી એક ટહુકાને પોતાનામાં કેદ ન કર્યો
પિંજરને નહોતી ખબર કે ફફડવું શું ચીજ છે?

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે?

વ્યવહારૂ થઈ જીવ્યા તો નહી જાણી શકો કદી પણ
ઝુરવું તે શું અને એકલાં બબડવું શું ચીજ છે?

Saturday, November 22, 2008

અશ્રુભીની કોઈ પાંપણ રોકે છે મને
એટલે કે પારકી થાપણ રોકે છે મને

તારાથી દૂર જતા રસ્તે ચાલ્યો હતો
રસ્તામાં તારા સ્મરણ રોકે છે મને

એમ તો હું યે ક્યાં જવા રાજી હતો
તું આવજો કહીને પણ રોકે છે મને

એકલા પસાર થઈ જાત સદીઓ પણ
તને મળ્યાની એક ક્ષણ રોકે છે મને

આવજો કહેતા કૈંક ચહેરાઓ વચ્ચે
ખૂણે ઉભું એકાદ જણ રોકે છે મને

ગ્રંથ છુટ્યાં ને છોડી ગ્રંથીઓ પણ
શી ખબર ક્યું વળગણ રોકે છે મને

રક્તથીયે મજબુત એ સાબિત થયું
શબ્દ સાથેનું સગપણ રોકે છે મને

હાથ મિલાવ્યા એ કોઈ રોકાયા નહી
બસ એક તૂટેલું દર્પણ રોકે છે મને

અહંના પહાડો તો ઓગાળીયે શકાય
બસ એક પ્રેમાળ ઝરણ રોકે છે મને

Sunday, November 09, 2008

વિંધી ગયું કંઈક આરપાર,બાકી મજામાં છું
રક્ત ના વહ્યું લગાર, બાકી મજામાં છું
જીવવાના સઘળાં કારણો ખુટી પડ્યા છે
તરા જ નામનો આધાર,બાકી મજામાં છું

આંસુને બહાર નિકળવા પર પાબંદી છે
અંદર વરસે અનરાધાર, બાકી મજામાં છું

હવે કાબુમાં રહેશે કાયદો અને વ્યવસ્થા !
અપેક્ષાઓને કરી તડીપાર,બાકી મજામાં છું



થઈ ગયો રેતી સિમેન્ટ ને સળિયાનો માણસ
હતો જે નેવાં, મોભ અને નળિયાંનો માણસ

સ્ક્વેર ફૂટના આટાપાટામાં જઈને અટવાયો
ઠીબ, ચબુતરો, ડેલી અને ફળિયાનો માણસ

એની ઇચ્છાઓનો દેશ વસ્યો નભને પેલે પાર
ટોચે પહોંચીનેય ન જંપ્યો તળિયાનો માણસ

ભાવ વિહોણી દુનિયામાં અભાવને આસ્વાદે
પેટભરીને પસ્તાયો ગંગાજળિયાનો* માણસ

શ્વાસે શ્વાસે બીજ વાવી લાગણીઓના પછી
ખાલીપો થઈને ખુટ્યો ઝળઝળિયાનો માણસ

(*ગંગાજળિયા=ભાવનગરના મધ્યમાં આવેલું તળાવ)

Sunday, October 12, 2008

કોઇક વિતાડે છે
કોઇક જીવાડે છે

હવા થકી ઉડ્યા
એ જ પછાડે છે

સમય તો બરફ
તો ય દઝાડે છે

સાંજે પર્ણ ખેરવી
સવારે ઉગાડે છે

એનાથી ના છૂપુ
જે તું સંતાડે છે

ખુદ ભલેને હારે
એ સૌને રમાડે છે

Wednesday, September 24, 2008

સ્મરણ


ચોતરફ ઘુઘવતા દરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે
ને ધોધમાર ઝળઝળિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

એકલતાનો અંધકાર એને ચોતરફ ઘેરી વળે પછી
સુમસામ, નિશબ્દ ફળિયા વચ્ચે કોઇ આવી ચડે છે

સંવેદનાના સો સો સુરજ પણ આથમી ગયા પછી
લઈ મુઠ્ઠી ઉજાસ, નળિયા વચ્ચે કોઇ આવી ચડે છે

અષાઢી નભશૃંગારે જીવલેણ ઝંખ્યા હો એવું બને
શ્રાવણ મધ્યે ઝરમરિયા વચ્ચે, કોઇ આવી ચડે છે

ના શ્વાસ હો, ના શબ્દ, હો કેવળ શુન્યતા ભરપુર
એકાકી એવા તરફડિયા વચ્ચે, કોઇ આવી ચડે છે








ઘણા સર્જકોને કેટલાક પ્રશ્નનો સામનો વારંવાર કરવો પડ્યો છે. સર્જન પ્રક્રિયા વિશે કે સર્જનની પળો વિષે કે સર્જનની પ્રેરણા અંગે સવાલો પુછાતાં રહ્યાં છે.ક્યારેક ચિંતનની કોઇ પળે સર્જક સ્વયં આ પ્રશ્ન ખુદને પુછી બેસે છે.સર્જક અન્ય માણસોથી કઈ રીતે જુદો પડે છે? દરેક ઘટના ને મુલવવા માટે તેની પાસે જુદા જ માપ હોય છે.

કવિ, લેખક, શિલ્પકાર, ચિત્રકાર કે સંગીતકાર સમગ્રપણે લાગણીપ્રધાન વ્યક્તિઓ હોય છે. જ્યારે બીજા લોકો નિર્ણય લેવામાં બુધ્ધિનો ઉપયોગ કરે છે ત્યારે આ સર્જકો લાગણીથી દોરવાઈને નિર્ણય કરે છે. અને એટલે જ એ બાકીની દુનિયાથી અલગ લાગે છે. ક્યારેક દુનિયાની નજરે હાસ્યાસ્પદ બનવું પડે તો પણ એની એને પરવા નથી હોતી. સર્જક સંપતિનો નહી સમજણનો સ્વામી હોય છે. એને સમજી શકનારા હંમેશા લઘુમતીમાં જ હોય છે. કોઇ પણ સર્જકને સમજવો હોય તો એની કક્ષા પર આવીને જ એને સમજી શકાય. સર્જક કે કલાકાર બાળક જેવા હોય છે. 'તને એટલુયે સમજાતું નથી ?' આ વાક્ય દરેક વખતે તેને જનોઈવઢ પીડા આપે છે. લીલીછમ લાગણીઓના પ્રદેશે એ પોતાને સાવ એક્લો અનુભવે છે ત્યારે તે સર્જનક્રિયાના ચરમ પર હોય છે.બાળકને સમજવા માટે જેમ થોડીવાર માટે બાળક બની જવું પડે કે કાલીઘેલી વાતો કરવી પડે એમ સર્જકના મનપ્રદેશે લટાર મારવી હોય તો દુનિયાદારીના વાઘા ત્યજવા પડે અને ઝળઝળિયા વચ્ચેના અનુભુતિ નામના એના એકાંતદ્વીપ સુધી પહોંચવુ પડે. આવો કોઇ કલાકાર નજરે ચડે તો તેને દુનિયાદારી શીખવવાનું કૃત્ય હત્યાથી જરા પણ ઓછુ ક્રુર નથી હોતું. દુનિયાદારીની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું ગણાય એના પ્રત્યે બેધ્યાન રહેનારો કલાકાર દુનિયાની નજર જેના પર નથી પડતી એવાં સંવેદનશિલ્પો નીરખતો રહે છે.

સમગ્ર સમાજનો કે સંસ્કૃતિનો વિકાસ આવા સર્જકપાગલોના સર્જનના પાયા પર જ થાય છે. વિચાર તો કરો વેદવ્યાસે, તુલસીદાસે,કાલિદાસે, ટાગોરે કે બીજા કોઇ કવિ લેખકે કશુ સર્જન ન કર્યું હોત તો? બિથોવનની સંગીત સુરાવલીઓ કે બિસ્મિલાહખાનની શરણાઈ ન સર્જાઈ હોત તો? આપણામાં અને યંત્રમાનવમાં શું ફર્ક હોત? અરે જે મહાન શોધ-સંશોધનના પાયા પર ભૌતિક વિકાસ માનવજાતે કર્યો છે એ પણ કોઇ દિવ્ય પળે થયેલાં અદ્વિતિય સર્જનનું જ પરિણામ હોય છે ને? પણ કમનસીબે ભૌતિકવાદે આપણી પાસેથી એ નીરખવાની દ્રષ્ટિ છીનવી લીધી છે. એવું લાગે છે કે મુળભુત રીતે આ પ્રશ્ન બુધ્ધિ અને લાગણી વચ્ચેની લડાઇનો છે. "ઇન્સ્ટંટ ફૂડ" ના યુગમાં લાગણીની લાંબા ગાળે મળનારી જીત કરતાં ત્વરીત પ્રાપ્ત થતી બુધ્ધિની, દુનિયાદારીની જીતમાં આપણે આપણને વધુ સલામત માનીએ છીએ. પરિણામે દિલ અને દિમાગની લડાઇમાં દિમાગથી દોરાઈને ચાલનારા ફાવી જાય છે અને લાગણીથી જીવનારા સર્જકો કાં તો દુનિયાદારીને તાબે થઈને પોતાના ઇશ્વરદત્ત મુળ સ્વરૂપનો બલિ ચઢાવે છે અથવા ગુમનામ પણે જીવ્યા કરે છે. શિક્ષણની પ્રક્રિયામાં પણ આ આયામથી વિચારાતું ન હોવાથી સુશિક્ષિત વર્ગ પણ કલાકારોનો આદર કરવાનું ચુકી જાય છે એ વરવી હકિકત છે.

આનુ પ્રાયશ્ચિત આપણે ક્યારેક તો કરવું જ પડશે ને?